ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

પ્રભુદાસ ભાટ

 

 

તેઓ સિંહનદમાં રહેતા હતા.
તેમના પિતા તે દેશના રાજાની ભાટ ચારણ તરીકેની નોકરી કરતાં હતા અને રાજાની પ્રશસ્તિને લગતી કવિતાઓ લખતા હતા.

પ્રભુદાસની ઉમર દશ વર્ષની થઈ, પણ તેમનામાં બુદ્ધિ ઓછી હતી, તેથી તેમના પિતા ઘણા ચિંતિત રહેતા હતા.
તેમના પિતાએ ભણાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ મૂર્ખ રહ્યા.

જ્યારે તેઓ પંદર વર્ષના થયા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. એકવાર રાજાએ પ્રભુદાસને બોલાવીને કહ્યું કે તમારા પિતા મારી પ્રશસ્તિની જેવી કવિતા રચતા તેવી કવિતા તમે રચીને આવો, ત્યારે પ્રભુદાસે તેને કહ્યું કે કવિતા કોને કહેવાય તે મને ખબર નથી, અને મારા પિતા જેવી કવિતા તમારે માટે ગાતા તેવી કવિતા મને તમારે માટે ગાવાની ઈચ્છા થતી નથી.

રાજા સાંભળીને કહ્યું કે જો મારી કવિતા તમે ગાશો તો હું તમને ઘણું ધન આપીશ. સાંભળીને પ્રભુદાસ કહે કે મને ધન આપનાર તું કોણ છે? મને ખવડાવવાવાળો હજાર હાથ વાળો છે. તારી મને જરૂર નથી. સાંભળીને રાજાને ઘણો ગુસ્સો આવી ગયો, તેને પ્રભુદાસને પોતાના નગરમાંથી કાઢી મૂક્યા.

પછી પ્રભુદાસ ફરતા ફરતા મથુરા વિશ્રામ ઘાટ પર આવ્યા. પરંતુ ત્યાં પણ તેમનામાં રહેલી ઓછી બુધ્ધિને કારણે લોકો તેને મૂર્ખ કહેવા લાગ્યા. ત્યારે તેઓ પોતાના મૂર્ખતાને લીધે દુઃખી થઈ રડવા લાગ્યા, અને કહેવા લાગ્યા, કે ભગવાને મને મૂર્ખ શા માટે કર્યો?

તે વખતે ત્યાં શ્રી મહાપ્રભુજી વિશ્રામ ઘાટ પર પધાર્યા તે વખતે ઘડીભર માટે શ્રી મહાપ્રભુજીનો સંગ થતાં તેમણે પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું, અને કહ્યું કે

જબ તેં બિછુર્યો નાથસોં, પરયો જગત ભવ કૂપ

           તા તિહ વલ્લભ પ્રગટ વ્હે, દરસાયો નિજ રૂપ

તેમણે દીનતા પૂર્વક શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી પોતાને શરણે લેવાની ઈચ્છા વ્યકત કરી, અને કહ્યું કે મને ક્યારેય દુઃસંગ રહે, અને આપના ચરણકમળનો દ્રઢ આશ્રય રહે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આશીર્વાદ આપ્યા.

વિશ્રામઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી પ્રભુદાસ ભાટનો પ્રમેયબળથી ઉધ્ધાર કરી રહ્યા હતા. 
આવા શ્રી મહાપ્રભુજીના અનન્ય આશ્રય વાળા પ્રભુદાસજીને આપણે વંદન કરીએ.

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli