ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

જગન્નાથ જોશી

 

એક સમયે જગન્નાથ જોશી શ્રી આચાર્યજીના દર્શને જવા અડેલ જવા નીકળ્યા. માર્ગમાં અન્નકૂટનો દિવસ આવ્યો, ત્યારે તેમની સાથે મહાપ્રભુજીના અન્ય એક વૈષ્ણવ પણ હતા.

જગન્નાથ જોશીજી તે વૈષ્ણવને કહ્યું કે, ગામમાં જઇ દાળ, ચોખા, ઘી, ખાંડ વગેરે જે કંઇ ઉત્તમ સામગ્રી મળે તે લઈ આવો. વૈષ્ણવ ગામમાં ગયો. ગામ ઘણું નાનું હોઇ જુવાર સિવાય કશું મળ્યું નહીં, તેથી તે વૈષ્ણવ જુવાર લઈ પાછા આવ્યા, અને આવીને તેણે જગન્નાથ જોશીને કહ્યું કે, "જુવાર સિવાય મને અન્ય કોઈ સામગ્રી મળી નથી."

આથી જગન્નાથ જોશીએ ભગવદ્ ઇચ્છા માનીને જુવાર લઈ લીધી. જુવારને તેમણે ઝાટકી, વીણીને સાફ કરી. જગન્નાથ જોશીએ પાણી ગરમ કરવા મૂક્યું અને તેમાં જુવાર બાફવા મૂકી, ત્યારે તે વૈષ્ણવે  આવીને કહ્યું કે જુવારની ભૂસી છે, તેને પાણીની ઉપર બાંધીને ઉપર ધરી દો પાણીની વરાળથી ભૂસીના ઢોકળા ઝટ થઈ જશે. ત્યારે જગન્નાથ જોશીએ એને બાંધીને ઉપર ધર્યા, પછી જ્યારે જુવારનું ઠુમર (ભરડકું) થઈ ગયું ત્યારે તે અચાનક પાણીની અંદર ઉકળતી જુવારમાં પડી ગયું. તે જોઈને જગન્નાથ જોશીને અત્યંત ખેદ થયો પરંતુ પછી ભગવદ ઇચ્છા માનીને જેવો તેવો ભોગ ધરાવીને, મહાપ્રસાદ લઈ સૂતા.

ત્યાં શ્રી ઠાકુરજીએ જગન્નાથ જોશીને કહ્યું કે મારા પેટમાં ઠુમરનું ઢોકળું દુઃખે છે. ત્યારે જગન્નાથ જોશીએ સૂંઠ, અજમો અને લૂણ સમર્પયા ત્યારે શ્રી ઠાકુરજીએ કહ્યું કે મારા પેટમાં આરામ થયો. પછી જગન્નાથ જોશીને મનમાં ઘણો પસ્તાવો થયો કે આજે શ્રી ઠાકુરજીને બહુ દુઃખ થયું. હવે સારું ગામ જોઈને મુકામ કરીશું, અને તે દિવસથી તે હમેંશા સારું ગામ જોઈને મુકામ કરતા.

વાર્તા પ્રસંગમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જગન્નાથ જોશી નિષ્કપટ ભગવદીય છે, તેથી શ્રી ઠાકુરજી ફરી પ્રસન્ન થયા. જે વૈષ્ણવના હૃદયમાં સ્નેહ હોય, સરળતા હોય તો એનાથી અપરાધ પણ પડે, તો યે શ્રી ઠાકુરજી તે અપરાધોને જોતાં, વૈષ્ણવો પર કૃપા કરે છે.

 

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli