શ્રી યમુનાજી નું પ્રાગટ્ય

 

         એક સમયે ગો-લોક ધામ માં શ્રી હરિ એકલા અટૂલા વિચરી રહ્યાં છે ને વિચારી રહ્યા છે કે આમ એકલા એકલા લીલા કરવાનો,બોલવાનો,રમણ કરવાનો આનંદ નથી આવતો. આનંદ મેળવવા માટે કોઇક સાથી સંગિની સાથે હોય તે જરુરી છે. જો સાથીસંગિની સાથે હોય તો લીલા કરવાનો  આનંદ આવશે આમ વિચારી અલૌકિક આદિત્યા સ્વરૂપા શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ એ સ્વયં આનંદ પ્રાપ્ત કરવા માટે પોતાના સ્વરૂપ માંથી આનંદ સ્વરૂપાનું પ્રાગટ્ય કર્યું, તે આનંદ સ્વરૂપા ષોડ્શીય કન્યા સ્વરુપે હતી. શ્રી હરીએ પોતાનું જે  આનંદ સ્વરૂપ પ્રગટ કર્યું તે આપણાં શ્રી સ્વામિનીજી છે. શ્રી સ્વામિનીજી નું મુખકમળ શરદ નાં ચંદ્ર જેવું હતું, વિપુલ કેશરાશિ વાસુકિની જેમ લહેરાતો હતો. નેત્રો લાંબા હતા,કપાળે કુમકુમ શોભતું હતું, નાસિકા મધ્યે રત્નનથની ઝુલતી હતી. તેમના ઓષ્ઠદ્વય ઉપર અનેક કમળોનું હાસ્ય ખિલેલું હતું. શ્રી હરિએ સ્વયં પોતાની આરાધના કરતા જે આનંદ મેળવ્યો હતો તે જ આનંદ સ્વરૂપા આ આપણા શ્રી સ્વામિનીજી હતા.

       એક દિવસ શ્રી સ્વામિનીજી એ કહ્યું પ્રભુ આપને વિશેષ આનંદ કરાવવા માટે અમને એક સુંદર સ્થાન સિધ્ધ કરાવી આપો જેની એક બાજુએ  વિશાળ પર્વત,સઘન કંદરાઓ,સુંદર વનસ્થળી હોય આજુબાજુ કુંજ- નિકુંજો,વનઉપવનો હોય તેમાં વિવિધ કિટકો ને સુંદર પંખીઓ હોય, સુંદર પુષ્પો થી આચ્છાદીત ઉદ્યાનો હોય, જેનો વિશાળ પ્રવાહ હોય તેના વિશાળ પ્રવાહ માં મત્સ્ય,કાચબા નિરંતર રહીને આપની સદાય સ્તુતિ કરી રહ્યાં હોય,જેનાં પાલવમાં સદાય કમળો ને કુમુદ ખિલેલા રહેતા હોય.જેના નેત્રકમળમાં સદાય આપનું સુખ જ વસેલું હોય જેના સંગ મા અમે જ્યારે એકલા પણ હોઇએ ત્યારે અમને  અમારી સખીઓની ગેરહાજરી ને એ પુરી કરી આપે આવુ કોઇ સ્થાન હોય તો હું આપને વિશેષ આનંદ આપી શકું.

                     શ્રી ઠાકુરજીએ શ્રી સ્વામિનીજી ની વાત સાંભળી પોતાના હ્રદયમાં રહેલ પ્રેમરસ ને ધોધમાર વહેડાવ્યો. આ રસાત્મક પ્રવાહરૂપ સ્વરૂપ તે શ્રી યમુનાજી ના નામ થી ઓળખાયું. (ગર્ગ પુરાણ ના મતે જ્યારે રાસ લીલા પૂર્ણ થઇ ત્યારે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી નું જે શ્રમિત જલબિંદુ વહ્યું તે શ્રી યમુનાજી) આ પ્રવાહરૂપ રસાત્મક સ્વરૂપ જેઓ સરિતા, સરયૂ કે જલ સ્વરૂપા શ્રી યમુનાજી ના નામે પ્રસિધ્ધ છે. શ્રી યમુનાજી ના આગમન થી શ્રી સ્વામિનીજી ને અત્યંત હર્ષ થયો.શ્રી સ્વામિનીજી ને હર્ષિત થયેલા જોઇને શ્રી ઠાકોરજી ને પણ અતિ પ્રસન્નતાં થઇ. આ સમયે  શ્રી ઠાકોરજીના હર્ષિત થયેલા શ્રીઅંગ માંથી ષોડશીય કન્યા સ્વરુપે શ્રી યમુનાજીનાં બીજાં સ્વરૂપનું પ્રાગટ્ય થયું. શ્રી યમુનાજીનું મુખારવિંદ મધુરહાસ્ય યુક્ત છે. પરવાળા શા સુંદર અધરોષ્ઠ છે, નેત્રો સરોજ જેવા અતિ વિશાળ અને નાજુક છે, સુંદર સાડી ચોળીનો શૃંગાર ધારણ કરેલો છે, કટી માં કટીમેખલા શોભી રહી છે, હિરા-માણેક-પન્ના અને રત્નો ના આભૂષણોથી જેઓ શોભાયમાન છે. શ્રી યમુનાજી શ્રી સ્વામિ-સ્વામિનીજીનું સ્વરૂપ હોઇ ગોલોક ધામમાં બે સ્વરૂપે બિરાજે છે.

)સરિતા-સરયૂ સ્વરૂપે(જલ સ્વરૂપે)          

 

 

૨)ષોડશીય કન્યા શ્રીસ્વામિનીજી સ્વરૂપે

       શ્રી ઠાકુરજી જ્યારે પોતાની સમગ્ર લીલાસૃષ્ટિ સાથે ગોલોક ધામથી પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે શ્રી યમુનાજી પણ આ બન્ને સ્વરૂપે તેમની સાથે પૃથ્વી પર આવ્યાં. વ્રજનાં જમનાવતાં ગામનાં ભાનુગોપને ત્યાં પ્રગટ થઇ શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા સ્વરૂપે બિરાજ્યાં. તેમનું લૌકિક જલ સ્વરૂપ હિમાલયનાં શિખર કલિન્દ પર્વત પર પ્રગટ થયું. કલિન્દ પર્વત ની પુત્રી કાલિન્દીજી જ્યારે ભૌતિકસ્વરૂપે વહેતા વહેતા મથુરા માં જ્યારે પ્રવેશ્યા ત્યારે આધ્યાત્મિક સ્વરૂપ તેમનામાં બિરાજી ગયું અને તેઓ મથુરા થી યમુના મહારાણી તરીકે ઓળખાયા. આ આધ્યાત્મિક સ્વરૂપે તેઓ જ્યારે વ્રજ માં પધાર્યા ત્યારે તેમનામાં

આધિદૈવિક સ્વરૂપ બિરાજી ગયું અને વ્રજમંડળ માં તેઓએ સ્વામિનીજીના સ્વરૂપને ધારણ કર્યું.

       શ્રી યમુનાજીનું ત્રીજું સ્વરૂપ આપણા પુરાણોમાં તીર્થ રૂપે બતાવેલું છે. ”કલિં ધતિ ખંડયતિ ઇતિ કાલિન્દી” જે કલિ ના દોષો ને દુર કરે છે તે કાલિંન્દી. દ્વારિકા લીલામાં શ્રી કાલિન્દીજી દ્વારિકાધીશજી ના ચતુર્થ પટરાણી છે. મર્યાદા સૃષ્ટિ અને મિશ્ર સૃષ્ટિ માં શ્રી યમુનાજી અને શ્રી કાલિન્દીજી એમ બન્ને નામ પ્રચલિત છેં પરંતુ પુષ્ટિમાર્ગિય સેવકો માટે કેવળ અને કેવળ શ્રી યમુનાજી છે.શ્રી વલ્લભચરણ અને વૈષ્ણવો ના વ્હાલા શ્રી યમુનાજી છે.

 

અનુસંધાન

શરદ ના ચંદ્ર જેવુ શ્રી સ્વામિનીજી નું મુખારવિંદ છે...........

       શરદ નો ચંદ્ર ગોળ,ગૌર અને શીતળતા પ્રદાન કરનારો હોય છે. તેમાંય ખાસ કરીને શરદ પૂર્ણિમાનો ચંદ્ર તો વિશેષ શીતળતાં,શાંતિ અને આનંદ આપે છે તે જ રીતે આપણાં શ્રી સ્વામિનીજી પણ છે તેમનું મુખારવિંદ ગોળ છે, તેમનો વર્ણ ગૌર(રૂપાળો) છે અને તેમનો સ્વભાવ શીતળતાં પ્રદાન કરનારો છે.

 

શ્રી યમુનાજીનું  પદ

राग- रामकली

प्रफुल्लित बन विविध रंग झलकत यमुना तरंग सौरभ धन मुदित अति सुहावनो

चिंतामणि कनक भूमि छबि अदभूत लता झूमि शितल मंद अति सुगंध मरुत आवनो

सारस हंस शुक चकोर चित्रित नृत्यत सुमोर कलकपोत कोकिला कल मधुर गावनो

युगल रसिकवर विहार “परमानंद”छबि  अपार जयति चारु वृंदावन परम भावनो

 

Yamunaji ki Arti

 

પૂર્વી મલકાણ મોદી

© Purvi Malkan
[email protected]

 

Return to the index

Return to main courtyard of the Haveli